છૂટાછેડાનો શાનદાર પ્રસંગ – વલ્લભ મિસ્ત્રી

[‘હાસ્ય-ઉત્સવ’ પુસ્તકમાંથી સાભાર.]

હાસ્યરસના અમારા એક કાર્યક્રમમાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો :
‘છૂટાછેડાના પ્રસંગને શાનદાર બનાવવા માટે શું કરવું જોઈએ ?’ અચાનક જ ફેંકાયેલા બમ્પર પ્રશ્નને નીચા નમી પાસ-ઑન કરી દેવામાં અમારી ઈજ્જતનો સવાલ હતો, હુક કરીને બાઉન્ડ્રી બતાવવામાં જોખમ એ હતું કે હૉલમાં બાઉન્ડ્રી લાઈનમાં ખુરશીમાં બેસીને ફિલ્ડિંગ ભરી રહેલી મારી પત્ની ‘હુપ’ કરતાં કૂદીને અમને કેચ-આઉટ જ કરી નાખે !

‘ભાઈ, તમે પરણેલા છો ?’ બમ્પર પ્રશ્ન સામે મેં સ્પીન બેટિંગ કરી.
‘કાચો…કુંવારો છું.’
‘વાંધો નહીં, પરણ્યા પછી કાચા-પાક્કા થઈ જશો, પરંતુ એ સમજાતું નથી કે લગ્ન-પહેલાં જ છૂટાછેડાનો સુવિચાર કેમ આવ્યો ?’
‘શું કરું ? પાણી આવતાં પહેલાં પાળ તો બાંધવી પડે ને ?’
‘તો લગ્ન પછી ઘોડિયુંય બાંધવું પડે તેનો પણ વિચાર કર્યો જ હશે ને ! ખેર, જવા દો એ વાત. મૂળ વાત એ છે કે, અમારા લગ્નજીવનનાં ત્રીસ વર્ષમાં છૂટાછેડા તો શું, તેનું નાટક પણ ભજવ્યું નથી.’
‘તો શું થયું ? સાચા-ખોટાનું અનુમાન તો કરી શકો ને ? કદાચ એ તમને ભવિષ્યમાં મદદરૂપ થાય પણ ખરું !’

બસ, હવે અમે સ્ટેજની પીચ પર સેટ થઈ ગયા હોવાથી દે અનુમાન ધનાધન કરી દીધે રાખવાનું ચાલુ કરી દીધું. સૌપ્રથમ તો જે ગોર મહારાજે લગ્નનું શુભ મુહૂર્ત કાઢી આપ્યું હોય તેની જ પાસે છૂટાછેડાનું અશુભ મુહૂર્ત કઢાવવું ! વધુ દાન-દક્ષિણા આપી લગ્નપ્રસંગનાં જે તારીખ-સમય હતાં તે જ રખાવવાં (યાદ રાખીને જે સાલ ચાલતી હોય તે રાખવી). અને હા, કદાચ ગોર મહારાજ સ્વર્ગે સિધાવી ગયા હોય તો તેમના કાયદેસર વારસદાર ચાલશે. લગ્ન સમયે જે હૉલ, વાડી કે પાર્ટીપ્લોટમાં લગ્ન થયાં હોય તે જ રાખી લેવાથી પિત્તળમાં ગંધ ભળશે !

પ્રસંગના આ બે મુખ્ય પાયા ખોદી છૂટાછેડાની ઈમારતની ઝલક રૂપે કંકોત્રી પ્લાન છપાવવો, જે લગ્નના પ્લાન કરતાં પણ હટ કે હોવો જોઈએ ! લગ્નપ્રસંગે આવેલા ચાંલ્લા-યાદીની નોંધપોથી ઘરના ખૂણે-ખાંચરેથી શોધવી. ઊધઈ….ઈયળ ચઢી ગઈ હોય તો પેસ્ટ-કંટ્રોલરના પાંચ-દશ રૂપિયા ખર્ચી નાખવા ! જેમણે લગ્ન-પ્રસંગે ચાંલ્લો કર્યો હોય કે ભેટ-સોગાદ આપી હોય તેમને જ છૂટાછેડાનું અશ્રુભીનું આમંત્રણ પાઠવવું. ત્યારબાદ લગ્ન પછી હનીમુન કરવા જે ખાડા-ટેકરા મતલબ કે પર્વત પર કે દરિયાકિનારે ગયાં હોવ ત્યાં ફકત સજોડે જ પહોંચી ગયા પછી, અંદરો-અંદર ઉગ્ર બોલાચાલી, ઝઘડો કરી છૂટાછેડા માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવું. હનીમુનના બદલે છૂટાછેડાનાં છાજિયાં ગાતાંગાતાં ઘર ભેગાં થયા પછી છૂટાછેડાની પૂર્વતૈયારીમાં લાગી જવું…

છૂટાછેડાના સમારંભમાં આવનાર દરેક મહેમાનનું, દરવાજે બાવળિયાનો કાંટો આપી સ્વાગત કરવું…અને હા, સાથેસાથે તેમની આંખોમાં ગ્લીસરીન નાંખવાનું ભૂલતા નહીં. શું છે કે, તેમની આંખોમાંથી ટપકતાં આંસુને લીધે પ્રસંગમાં થોડી વાસ્તવિકતા આવશે ! પ્રવેશદ્વારની અંદર પગ-પેસારો કરી ચૂકેલા મહેમાનોની આંખે ઊડીને વળગે તેવું નાનું છતાં મોટા અક્ષરોમાં સૂચના-બોર્ડ મૂકેલું હોવું જોઈએ જેથી તેઓ વાંચી શકે કે, ‘આગળ વધતાં પહેલાં સામેના ટેબલ પર મળીને જ જવું, લાભ થશે !’ એ સાથે દિલનો નહીં, ટેબલની દિશા દર્શાવતો એરો મારવો. સૂચના મુજબ મોટા લાભની આશાએ ટેબલ પાસે આવનાર વ્યક્તિનું નામ પૂછી, લગ્નપ્રસંગે તેણે કેટલો ચાંલ્લો કર્યો હતો તે નોંધપોથીમાં જોઈ-તપાસી, આવેલ ચાંલ્લાની રકમમાંથી ત્રીસ ટકા ઘસારો (depreciation) બાદ કરી, બાકીની રકમ ચેક કે ક્રેડિટ કાર્ડ દ્વારા નહીં પણ રોકડા ગણીને ગણતરીના ખુલાસા સાથે ખેલદિલીપૂર્વક ‘થેન્ક યુ’ કહી પાછી આપવી.
‘વાહ ક્યા પ્રસંગ હૈ !’ કહી ખુશ થઈ એ વ્યક્તિ આગળ વધે તે પહેલાં, ‘બમ્પ એ હેડ’ બની તેને રોકી લેવી. ‘રુકાવટ કે લિયે ખેદ હૈ’નો શબ્દ-વિવેક કર્યા પછી ટકોર કરવી કે, ‘અરે….ભાઈ, આમ હરખપદુડા થઈને ક્યાં ચાલ્યા ? હજુ તો હિસાબ કરવાનો બાકી છે !’
‘હવે શેનો હિસાબ ?!’ એ વ્યક્તિ પ્રશ્ન પૂછે તે પહેલાં ફરજ ખાતર ચોખવટ કરી દેવી કે, ‘લગ્નપ્રસંગે તમે જમ્યા હતા તેની એક થાળી દીઠ પડતર પચાસ રૂપિયા થઈ હતી. તેમાં પૂરા સો નહીં પણ પંચોતેર ટકા મોંઘવારી ઉમેરી જે રકમ થાય છે તે એકસો બાર રૂપિયા ને પચાસ પૈસા ને રાઉન્ડ ઑફ કર્યા પછી પૂરા એકસો અગિયાર રૂપિયા તમારે પાછા આપવા પડશે. રોકડા ના હોય તો ચેક, ક્રેડિટ કાર્ડ સ્વીકાર્ય છે. હિસાબ કોડીનો, બક્ષિસ લાખની….!’

માગણી મુજબની રકમ મને-ક-મને પાછી આપી એ વ્યક્તિ આવા શાનદાર પ્રસંગને અધવચ્ચે છોડી ભાગવાની કોશિશ કરે તે પહેલા તેના મોંમાં પાણી લાવી દેતાં હૈયાધારણ આપવી કે છૂટાછેડાનું જે ભોજન છે તે વિદેશી ફાસ્ટફૂડ કંપનીઓ તરફથી સ્પોન્સર થયું હોવાથી આજે તો શું ભવિષ્યમાં પણ તેનો ચાર્જ વસુલ કરવામાં નહીં આવે !

સત્કાર-સમારંભનું જે સ્ટેજ બનાવવામાં આવે તેમાં વચ્ચે ભારત-પાકિસ્તાન સરહદ વચ્ચે ખેંચવામાં આવેલી અંકુશરેખાની જેમ આડી નહીં, પણ ઊભી અંકુશ દીવાલ રાખવી – જેની એક બાજુ વરરાજા ને બીજી બાજુ કન્યાને ઊભાં રાખવાં. વરપક્ષના લોકો સ્ટેજ પર તે સાઈડે જઈ અફસોસ-શુભેચ્છા પાઠવે, ને કન્યાપક્ષના લોકો કન્યા તરફી ખરખરો કરે. આ દરમ્યાન જે લોકોએ લગ્નપ્રસંગે ભેટ આપી હોય તે જ ભેટ ભલે ને ગમે તેવી હાલતમાં હોય તે પરત કરવી.

છૂટાછેડાની માસ્ટર-બ્લાસ્ટર શાસ્ત્રોક્ત વિધિમાં શાહી ખુરશીમાં બેઠેલાં વરકન્યાને ઊભાં કરી દેવાં. ઓલવાયેલ (બુઝાયેલ) અગ્નિકુંડ ફરતે ઊંધા ફેરા લેવડાવી લગ્નબંધનની ગાંઠને છોડી નાંખવી. હસ્તમેળાપ વખતે ચોંટી ગયેલા વર-કન્યાના હાથને જાહેરમાં પ્રેમ-ગોષ્ઠી કરવાની સજા રૂપે છૂટા પાડી દેવા. કંસારના કોળિયાને કંકાસ સમજી એ કોળિયો પાછો ખેંચી લેવો. ગોર મહારાજનો ‘કન્યા પરત લઈ જાવ….સાવધાન !’નો પડકાર સાંભળી મામીએ કન્યાને ઘર ભેગી કરવી. જમાઈની પગપૂજા કરવાને બદલે ટાંટિયા ખેંચી, મોં બગાડી, સાસુ-સસરાએ ઊભાં થઈ જવું. પોંખવા આવેલી સાસુએ જમાઈનું નાખ ખેંચવાને બદલે ફેંટ પકડવી અને સાળીઓએ જીજાજીને ધક્કા મારતાં મારતાં મંડપ-બહાર હડસેલી દેવા. છેલ્લે આલ્બમમાં લગાવેલા લગ્નપ્રસંગના ફોટા ઉખાડીને ફેંકી દેવા અને તેના સ્થાને છૂટાછેડાના ફોટા ચિપકાવી દેવા.

અમારી અનુમાન-કથા પૂરી થતાં જ તાળીઓના ગડગડાટ વચ્ચે મારાં શ્રીમતી ક્યારે સ્ટેજ પર આવી પહોંચ્યાં તેની ખબર જ ન પડી ! હું કંઈ પૂછવા જાઉં તે પહેલાં તો અમારા હાથમાંથી માઈક ઝૂંટવી લઈ સહર્ષ જાહેર કરી દીધું કે, ‘જો છૂટાછેડાનો આવો સરસ શાનદાર પ્રસંગ ઊજવાતો હોય તો છૂટાછેડા માટે પહેલ કરવા હું તૈયાર છું !’ અનુમાન કરવામાં તો અમારા કરતાંય એક ડગલું આગળ વધી ગઈ હતી !

તો મિત્રો, તમે છૂટાછેડાનો શાનદાર પ્રસંગ ક્યારે ઉજવો છો ?

માળા એટલે શું ? તેમાં 108 મણકા કેમ રખાય છે ?

સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો. આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એક વાર પ્રભુસ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા. જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ કરવા કહેતા. પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે.

બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા. આ માળા 108 મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે 1 મિનિટમાં 15 વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના 12 કલાક જો બાદ કરી લઈએ તો દિવસના 12 કલાકમાં મનુષ્ય 10,800 વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે. પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનું 100ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો 108 વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું 100ગણું ફળ મળે. તે ગણતરીએ (108 x 100 = 10800) માળામાં 108 મણકા પરોવવામાં આવ્યા હતા. 108 મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનું પહેલું પગથિયું ગણાય છે.

108 મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા 108 રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે 108 મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.

માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્યના પોતાના મનની શાંતિ માટે, પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.

ઉપવાસ કેમ કરવામાં આવે છે ?

[ ભારત એટલે ઉજ્જવળ પરંપરાઓનો દેશ. ઈતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓ જ માનવજાતનું સંસ્કાર-ઘડતર અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે. આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવતી અનેક પરંપરાઓ અને રીતરિવાજો છે. જેમ કે તિલક કેમ ? આરતીની શું જરૂર ? સૂર્યનમસ્કાર કેમ ? સૌભાગ્યવતી સ્ત્રીઓ સિંદૂર કેમ પૂરે ? નમસ્કારનો શું અર્થ ? વગેરે… આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન પેઢીને દરેક પરંપરા સામે ‘આવું કેમ ?’ અથવા ‘આમ શા માટે ?’ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તેમના આ સવાલો તેમની અદમ્ય જિજ્ઞાસાઓ છતી કરે છે. તેઓની આ જિજ્ઞાસાઓને સંતોષવાનો આ પુસ્તકમાં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવ્યો છે. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક, આપણી પરંપરાઓને સમજવા માટેનું સહજ સોપાન છે. (પ્રસ્તાવનામાંથી…) ‘ભારતીય સંસ્કૃતિમાં આવું કેમ ?’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવમાં આવી છે.]

[1] ઉપવાસ કેમ કરવામાં આવે છે ?

આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ‘ઉપવાસ’ શબ્દનો અર્થ જાણી લઈએ. ‘ઉપ’ એટલે સમીપે – નજીક અને ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું ? તો તેનો જવાબ છે કે એ પરમતત્વની નજીક રહેવું જેણે આ સકળ સંસારને સ્વયંસંચાલિત રીતે હર્યોભર્યો રાખ્યો છે. બહુ સાદા શબ્દોમાં કહીએ તો ઉપવાસ એટલે પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવેલો સમય.

અનાજ મેળવવું, તેને સાફ કરવું, રાંધવું, ખાવું અને પચાવવું – આ સમગ્ર ક્રિયામાં પુષ્કળ સમય અને શક્તિ ખર્ચાય છે. આવા સમયે ક્યારેક બિલકુલ ખાધા વિના માનવી એટલો સમય અને શક્તિ બચાવી તેનો ઉપયોગ પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવવાનો સંકલ્પ કરે તો તેને શારીરિક અને માનસિક બંને રીતે લાભ થાય છે. આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ મહિનામાં બે, ચાર કે અમુક દિવસો એવા નક્કી કર્યા હતા કે જે દિવસે વ્યક્તિ કશું ખાધા વગર રહે એટલે કે ઉપવાસ કરે તો તેને શારીરિક અને માનસિક શાંતિ અને શાતા મળે. આ સિદ્ધ થયેલી હકીકત છે. કેટલાંક લોકો આવો ઉપવાસ કરી શકતા નથી હોતા તો તેઓ માટે આપણા પૂર્વજોએ એકટાણાંનો વિકલ્પ સૂચવ્યો છે, જેમાં દિવસ દરમિયાન વ્યક્તિ એક જ વાર ભોજન લે છે. આ ઉપરાંત ઉણોદરી વ્રતનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યક્તિ ભૂખ કરતાં ઓછું જમે છે – તો વળી ભર્યા ભાણાનું પણ વ્રત હોય છે જેમાં વ્યક્તિ થાળીમાં પીરસાઈ જાય પછી બીજી વખત કોઈ પણ ચીજ લેતા નથી હોતા.
ઉપવાસ કે એકટાણા માટેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણા પાચનતંત્રને અમુક અમુક દિવસોના અંતરે આરામ જોઈતો હોય છે. આવો આરામ મળતા પાચનતંત્ર સારી રીતે કામ કરવા ફરીથી સજ્જ થઈ જાય છે. આપણને સૌને અનુભવ છે કે દરેક યંત્ર કે તંત્રને થોડા થોડા દિવસે આરામની જરૂર હોય છે. મહિનો થાય એટલે કોઈ પણ યંત્રને સાફસૂફ કરવું પડે છે. તેના પૂર્જાઓમાં ઑઈલ પૂરવું પડે છે. તો કચેરીઓમાં ચાલતા તંત્રને અઠવાડિયે એક રજા આપવામાં આવે છે જેથી તેમાં કામ કરનારાઓ ફરી તાજામાજા થઈ કામ કરવા પુન:સજ્જ થઈ જાય છે. તો શરીરના તંત્રનો શું વાંક ? શું તેને થોડા થોડા સમયના અંતરે આરામ ન આપવો જોઈએ ? જરૂર આપવો જોઈએ.

અગાઉના સમયમાં આપણા પૂર્વજોએ જોયું હતું કે જો કોઈ પણ વાત સમાજના ગળે ઉતારવી હોય તો તેને ધર્મનો લેપ લગાડવાથી તેનો જલદી સ્વીકાર થાય છે. આથી ધાર્મિક વિધિમાં ઉપવાસથી ‘પુણ્ય’ મળે છે તે વાત સાંકળી લેવામાં આવી હતી. પુણ્યની વાત જવા દઈએ તો પણ ઉપવાસના દિવસે પરમેશ્વરની વધુ નજીક રહેવાનો સમય આપણને જરૂર મળે છે. બીજું ઉપવાસથી જાત ઉપર અનુશાસન આવે છે અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ પાચનતંત્રને આરામ મળે છે. બધા લોકો ઉપવાસ કરી શકતા હોતા નથી તેથી ઉપવાસ કરનારને કેટલું કષ્ટ પડતું હશે તેવો તેમને વિચાર આવે છે અને ઉપવાસ કરનાર પ્રત્યે તેમને અહોભાવ જાગે છે. ક્યારેક અન્યાયનો સામનો કરવા માટે પણ ઉપવાસનું શસ્ત્ર ઉગામવામાં આવે છે. મહાત્મા ગાંધીએ અંગ્રેજોના શાસન વિરુદ્ધ ઉપવાસો કર્યા જ હતા.

Lighting the Lamp by Shri Ajitbhai Desai,Jivan sathi Parichay Mela, Andheri Modh Seva Samaj

Lighting the Lamp by Shri Ajitbhai Desai,Jivan sathi Parichay Mela, Andheri Modh Seva Samaj

Lighting the Lamp by Shri Ajitbhai Desai,Jivan sathi Parichay Mela, Andheri Modh Seva Samaj

Felicitation of Shri Ajitbhai Desai by Shri Anilbhai Lavingiya

Felicitation of Shri Ajitbhai Desai by Shri Anilbhai Lavingiya

Felicitation of Shri Ajitbhai Desai by Shri Anilbhai Lavingiya

Felicitation of Shri Vinodbhai Ambani by Shri Ajitbhai Desai

Felicitation of Shri Vinodbhai Ambani by Shri Ajitbhai Desai

Felicitation of Shri Vinodbhai Ambani by Shri Ajitbhai Desai

સાંપ્રત શિક્ષણ : પ્રશ્નો જ પ્રશ્નો – શરીફા વીજળીવાળા

કોઈ પણ સ્વસ્થ સમાજને ઘડવાનું, જીવનમૂલ્યોને રક્ષવાનું કામ હંમેશાં શિક્ષણ જ કરી શકે. સારું અને સાચું શિક્ષણ. શિક્ષણ વ્યક્તિત્વ ઘડતરનું કામ કરે છે. શિક્ષણ જીવનમૂલ્યો શીખવે, સર્વાંગી વિકાસની દિશામાં લઈ જાય. સ્વસ્થ નાગરિક સમાજના ઘડતરમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણનો જ સૌથી મોટો ફાળો હોવાનો. શિક્ષણ એટલે માત્ર ડિગ્રીધારીઓ પેદા કરવાની ફેકટરી નહીં પરંતુ એક સંપૂર્ણ મનુષ્ય બનાવનારી કેળવણી.

પણ આજે ચોતરફ નજર નાખો. ઉગતાથી આથમતા સુધી સતત દોડતો વિદ્યાર્થી ખરેખર શું ભણે છે ? બદલાયેલી શિક્ષણ પદ્ધતિએ બાળકો પર અર્થ વગરનો અને પાર વગરનો બોજો ખડકી દીધો છે. ભારણ વધ્યું છે પરંતુ ભણતર વધ્યું છે ખરું એવો પ્રશ્ન થાય. ભણતરના ભાર નીચે કચડાઈ જતો આ વિદ્યાર્થી વર્ગમાં ભલે 80-90 ટકા લાવે પરંતુ એનું વિસ્મયનું જગત ખોવાઈ ગયું છે. વાર્તાઓના જગતમાં ખોવાઈ જઈ કલ્પનાના લોકમાં વિહરવાનો સમય આજના ભણતરે એની પાસે રહેવા જ નથી દીધો. વિસ્મય અને અદ્દભુતના જગત સાથે જોડી આપતા અખૂટ વાર્તારસ સાથે આજના વિદ્યાર્થીને કોઈ નાતો જ ના રહ્યો. વળી ટેકનોલોજીના વિકાસે માહિતીનું મહત્વ વધાર્યું અને જ્ઞાનને બીજા નંબરે મૂકી આપ્યું. હરિફાઈની દુનિયામાં વ્યક્તિવિકાસના મૂલ્યો અને મહત્વાકાંક્ષાઓનું સ્વરૂપ બદલાઈ ગયું. પુસ્તકો દ્વારા વ્યક્તિત્વ ઘડતરનો ખ્યાલ જ અલોપ થઈ ગયો. વાચન માણસને વિચારતા કરે છે, પોતીકી રીતે નિર્ણય લેતા કરે છે. જેઓને વાંચવાની અને પરિણામે વિચારવાની ટેવ છે એમને ઘેંટાના ટોળાંની જેમ દોરી નથી શકાતા.

પણ છેલ્લા 25-30 વર્ષમાં વ્યક્તિને બદલે ટોળાં વધતા ગયા એનું મૂળ કારણ ખાડે ગયેલ શિક્ષણ છે. તમે દેશ કે દુનિયાના મહાન વૈજ્ઞાનિકો, વિદ્વાનો કે સર્જકોની વાતો વાંચો. વિક્રમ સારાભાઈ, રવીન્દ્રનાથ ટાગોર કે અત્યારે એ.પી.જે. અબ્દુલ કલામ, પંકજ જોશી વગેરેની વાતો વાંચો…. આ તમામની કુતૂહલવૃત્તિ, વિસ્મય એમના વાચનરસને કારણે પ્રદીપ્ત થયેલ. આજે ભણતરના ભારણે વિદ્યાર્થીના વાર્તારસ કે વાચનરસ બેઉનો સાવ જ છેદ ઉડાડી દીધો છે. આજના પોપટિયા શિક્ષણે એની સંપૂર્ણ મનુષ્ય બનવાની દિશા જ લગભગ બંધ કરી દીધી છે. આજના 80 થી 85 ટકા લાવનારા વિદ્યાર્થીની હાલત તો જરા જુઓ. અતિશય મર્યાદિત શબ્દભંડોળ, સાવ જ કાચીભાષા પરિણામે એકદમ જ નબળી અભિવ્યક્તિ, મૌલિક્તા અને સામાન્ય જ્ઞાનનો સદંતર જ અભાવ, આ વિદ્યાર્થીને ઈતરવાચન તો ઠીક પણ છાપાં વાંચવાની પણ કદી જરૂર નથી પડતી. પરંતુ આનો આ જ વિદ્યાર્થી પાછો રશિયાની રાજક્રાન્તિ વિશે કે બીજા વિશ્વયુદ્ધ વિશે નોંધ લખી આવે ! ભારતની આર્થિક નીતિ પર લખનારને બજેટ ક્યારે બહાર પડે કે કેવી રીતે પસાર થાય એની લેશમાત્ર ગતાગમ નથી. કોલેજના પે’લા-બીજા વર્ષના વિદ્યાર્થીને 1930 કે ’42 કે ’47 કે ’65 કે ’75 કે ’92માં શું બન્યું એવું પૂછો તો જવાબમાં મૌન પાળે છે. પશ્ચિમ બંગાળ પશ્ચિમમાં અને ગુજરાત દક્ષિણમાં એવા નિરાંતજીવે જવાબ આપે છે. હવે પ્રશ્ન કરો કે પેલા 80 કે 85 ટકાનો ફાયદો શો ? નિશાળોએ આ વિદ્યાર્થીને ગોખતા શીખવ્યું પણ બીજું કશું કેમ ના શીખવ્યું એવો પ્રશ્ન નહીં થાય ?

આજના શિક્ષણે આ વિદ્યાર્થીને એટલી હદે સપાટી પર છબછબિયા કરતો કરી દીધો છે કે ન એને ભૂગોળ આવડે, ન ઈતિહાસ. સંસ્કૃતિની જેટલી સમજ છે તે એટલી તો સાંકડી છે કે ‘વસુધૈવ કુટુંબકમ’ કે વિશ્વમાનવની વાત એમાં દાયરામાં જ નથી આવતી. સાવ છીછરું, સપાટી પરનું આ પોપટિયું શિક્ષણ ન તો જીવનમૂલ્યોનું સિંચન કરે છે કે ન જીવનઘડતરનું, ન વ્યક્તિત્વઘડતરનું કામ કરે છે. વળી ખોટનો ધંધો તો એ થયો છે કે જાણ્યે અજાણ્યે આ સપાટી પરના છીછરા શિક્ષણે વિદ્યાર્થીને ‘હું કંઈક છું’ના ભ્રમમાં રાચતો કરી દીધો છે. જ્ઞાનને કોઈ સીમા જ નથી હોતી એવું સમજવાને બદલે એ પોતાને મહાજ્ઞાની સમજતો થઈ ગયો છે.

ન કલ્પના લોકનો સાથ રહ્યો, ન કુદરત સાથેનો નાતો રહ્યો. આપણે આ વિદ્યાર્થીને વિષય તરીકે પર્યાવરણ ભણાવીએ છીએ પણ પર્યાવરણના ખરા પાઠ શીખવાડીએ છીએ ખરાં ? કુદરતી સ્ત્રોતના મહત્વ વિશે સભાન બનાવીએ છીએ ખરાં ? એને જીવનમૂલ્યનો હિસ્સો બનાવીએ છીએ ખરાં ? વનસ્પતિશાસ્ત્રમાં અનુસ્નાતક કક્ષાએ 75 ટકા લાવનારને બગીચાના એક પણ છોડના નામ નથી ખબર ! બોર્ડમાં નંબર લાવનારને એના રસ્તાના વળાંક પર ખીલી ઊઠેલા કાંચનારનો જાંબલી રંગ નથી દેખાતો. પ્રશ્ન આ છે. સમસ્યા આ છે. કટ્ટર હરિફાઈનો ભોગ બની, ટકા માટે ઘેલા બની આપણે વિદ્યાર્થીને માત્ર પુસ્તકિયા જ્ઞાન સુધી સીમિત કરી દીધો છે. જો આપણે તેને અનુભવજન્ય જ્ઞાન બાજુ, સામાન્ય જ્ઞાન અને વધારાના વાંચન બાજુ નહીં લઈ જઈએ તો આવતીકાલ નર્યા પ્રશ્નો લઈને ઉગશે. આપણી પાસે ગાંધીની બુનિયાદી તાલીમની પાક્કી સમજ છે જ. પણ એને અમલમાં મૂકવાની આપણી તૈયારી નથી. લોર્ડ મેકોલેએ આપણા માથા પર જે શિક્ષણ માળખું લાદ્યું તેને ફગાવી દેવાને બદલે આપણે એમાં વધુ ને વધુ ફસાતા ગયા. મેકોલેના વંશજો તો ગયા પરંતુ આપણે એના માળખાના મોહમાંથી છૂટ્યા છીએ ખરાં ?

અંગ્રેજી ભાષા તરફનો આપણો મોહ સાચી દિશામાં વધ્યો છે કે ખોટી દેખાદેખીની આ આંધળી દોટ છે ? અંગ્રેજી વિષયના શિક્ષણ સામે કોઈનેય વાંધો ન હોય પરંતુ શિક્ષણનું અંગ્રેજીકરણ તો કેવી રીતે ચલાવી લેવાય ? ભાષાવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને દાકતરી વિજ્ઞાન તમામ એક વાતને ટેકો આપે છે કે માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીની પાયાની સમજ એકદમ ટકોરાબંધ હોય છે. પણ અંગ્રેજી પાછળની આંધળી દોટમાં આ સાંભળવા તૈયાર કોણ છે ? જેમને અંગ્રેજી માધ્યમમાં મૂક્યા તે અંગ્રેજી સાહિત્ય વાંચતા થયા ? જવાબ ‘ના’. એમણે ગુજરાતી વાંચ્યું ? તો એ તો એને આવડ્યું જ નથી. તો આ તો બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ થયો ને ? ટૂંકમાં છેલ્લા બે-ત્રણ દાયકાઓથી જાણે કે વાચનયુગ જ પૂરો થઈ ગયો છે. આપણાં બાળપણના પાત્રો સોટી-પોઠી, બકોર પટેલ, મિયાં ફૂસકી આ બધા તો બિલકુલ ગાયબ જ થઈ ગયા. ’70ના દાયકા સુધી આપણે ત્યાં ડૉક્ટરો, ઈજનેરો સહિત બધા વાંચતા. ઘરે ઘરે મુનશી, મેઘાણી, મડિયા, ર.વ. દેસાઈ, દર્શક ઉપરાંત શરદબાબુ, ટાગોર અને ખાંડેકર પણ પુષ્કળ વંચાતા. કોકિલા, મંજરી, મૃણાલ કે રોહિણી રાજુ કે જીવીને ગુજરાતી પ્રજા ઓળખતી. આજે તો ગુજરાતી વિષય સાથે એમ.એ. એમ.ફિલ કે પી.એચ.ડી. કરનાર વિદ્યાર્થીને પણ આમાંથી માંડ એકાદ બે નામ ખબર હશે. એય જો કશેક અભ્યાસક્રમમાં આવ્યા હશે તો નહિતર રામ…રામ…

આપણે પ્રાથમિક શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે એની પરવા જ ન કરી અને સર્વોચ્ચ પદવીઓ માટે જીવદયા મંડળીઓ ખોલી બેઠા… જેના પરિણામ આપણી સામે જ છે. આજનો આપણો વિદ્યાર્થી જાતે પંદર વાક્યો નથી લખી શકતો, ગોખેલી પદ્ધતિ સિવાય અન્ય પદ્ધતિથી, તાળો મેળવીને દાખલા નથી ગણી શકતો. ટ્યૂશન કલાસ અને માર્ગદર્શિકાઓના બોટલફિડિંગે એને સાવ પરાવલંબી બનાવી દીધો છે. નિબંધ લખવા માટે આજનો વિદ્યાર્થી મા-બાપ સાથે જ્યારે નિબંધમાળા શોધવા નીકળે ત્યારે જીવન વધુ ગંભીર લાગે. વાચન માણસને પોતીકી રીતે વિચારતા કરે છે, બીજા માનવીના આંતરમન સુધી પહોંચવામાં મદદ કરે છે, વીતેલા સમયની ઘટનાઓના આકલનમાં, એને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવામાં, સમૂહની માનસિકતા સમજવામાં આપણને વાચન જ મદદ કરી શકે. વાચન માણસને પાયામાંથી બદલી શકે છે, જીવનમૂલ્યોનું ઘડતર કરે છે, મનોજગતને વિસ્તારે છે, પોતીકી સમજ કેળવે છે. આટઆટલાં ફાયદા હોવા છતાં આજે કેમ વિદ્યાર્થી વાંચતો બંધ થઈ ગયો ? આમ તો આ પ્રશ્ન છેલ્લાં 30-35 વર્ષથી પૂછાઈ રહ્યો છે. નહીં વાંચનારી એક આખી પેઢીના સંતાનો આજે વિદ્યાર્થી તરીકે શાળા-કૉલેજોમાં પહોંચી ગયા છે એટલે પ્રશ્ન વધુ વિકટ બન્યો છે.

આ બધું રાતોરાત નથી થયું. આની પાછળ બદલાયેલી શિક્ષણપદ્ધતિ જેટલી જવાબદાર છે એટલો જ નબળો પડતો જતો શિક્ષક પણ જવાબદાર છે. એક જ શિક્ષક અમારા જમાનામાં બધા વિષય ભણાવતા પ્રાથમિક શાળામાં તે છતાં પાયા કેવા તો પાક્કા થતાં હતાં. ને આજે ? આજે દરેક વિષયના નિષ્ણાત શિક્ષક ભણાવે છે છતાં શિક્ષણ આટલું ખાડે ગયું છે. ભારણ વધતું જાય છે અને ભણતર ઘટતું જ જાય છે. વર્ગમાં જનાર શિક્ષકમાં જે પ્રકારની સજ્જતા હોવી જોઈએ તેનો આજે અપવાદને બાદ કરતાં સંપૂર્ણ અભાવ છે. શિક્ષકે પોતે ઘણું બધું વાંચ્યું હશે. તો એ એના વિદ્યાર્થીને વાંચવા અંગે માર્ગદર્શન આપી શકશે ને ? આજે તો શિક્ષક જ ત=ટ, ગ=ઘ, ર=લ, દ=ડ બોલતો હોય વર્ગમાં પછી વિદ્યાર્થી શું ખાખ ઉચ્ચારણશુદ્ધિ શીખવાનો ? કૂવામાં ન હોય તો હવાડામાં ન આવે એ શિક્ષણ માટે સવાયું સત્ય છે. આજે શિક્ષણક્ષેત્રે કૂવાઓ ખાલી છે એ દુ:ખ સાથે આપણે કબૂલવું પડશે. શિક્ષક વાંચતો હશે, વિચારતો હશે, મૂલ્યનિષ્ઠ અને પ્રામાણિક હશે તો એના 70-75 ટકા વિદ્યાર્થી તો એના જેવા થશે જ. વિદ્યાર્થીના કુતૂહલને શિક્ષકે પ્રદીપ્ત કરવાનું છે, ઢબૂરી નથી દેવાનું. શિક્ષકે વ્યક્તિત્વ ઘડતર કરવાનું છે. પોતાનો વિદ્યાર્થી ટોળાંનો ભાગ ન બની જાય, એ પોતાની રીતે વિચારતો થાય, મૌલિકપણે નિર્ણયો લેતો થાય, વાંચતો-લખતો થાય એ જોવાની શિક્ષકની નૈતિક જવાબદારી છે.

આજે જરૂર છે એવા શિક્ષણની જે વિદ્યાર્થીને કલ્પનાની પાંખે ઊડવા દે, એનો સર્વાંગી વિકાસ સાધે, એને સંપૂર્ણ મનુષ્ય બનાવે. વિદ્યાર્થી ‘સ્વ’ને બદલે ‘સર્વ’નો વિચાર કરતો થાય એવા શિક્ષણની આજે તાતી જરૂરિયાત છે. અત્યારે જે માળખું છે તે તો માત્ર સ્વકેન્દ્રી મશીનો જ પેદા કરી શકે એમ છે, એમાંથી સર્વનો વિચાર કરતો સાચુકલો માણસ પેદા કરવો બહુ અઘરો છે. આપણું સમગ્ર માળખું પરિવર્તન માગે છે. બે વર્ષની ઉંમરના બાળકને રમવા દો… વાર્તાઓ સાંભળવા દો. એને ભણતરના ચૂલામાં ઝોંકવાની જરૂર નથી. પાંચેક વર્ષની ઉંમરે ભણવા બેસાડો. શિક્ષકે જે શીખવાડવાનું છે એ નિશાળમાં જ શીખવાડવાનું છે. આ બરાબર થતું હશે તો કોઈ ટ્યૂશન, કોઈ ગાઈડની જરૂર નહીં જ પડે. બાળક વેઠી શકે એટલું જ લેસન આપો. બાળક મશીન નથી, માણસ છે. એ સમજીને એને હસતા-રમતા ભણાવો. બોર્ડની પરીક્ષાઓના ખોટા હાઉ દૂર થવા જોઈએ. બાકીની પરીક્ષાઓ જેવી જ આ પણ એક પરીક્ષા છે એવો માહોલ ઊભો થવો જોઈએ. કટ્ટર હરિફાઈની ઘેલછામાં તમારા બાળકને ના હોમી દો. હા, કૉલેજ સ્તરે ભારણ વધારો. આજે કૉલેજોમાં મશ્કરી લાગે એટલો ચપટી અભ્યાસક્રમ છે. એને વધારી શકાય. એમ.ફિલ. પી.એચ.ડી. જેવી ઉચ્ચ પદવીઓમાં ચાલતી લાલિયાવાડી બંધ થવી જોઈએ. જે આવતીકાલે શિક્ષક થવાના છે એવા તમામ વિદ્યાર્થીની તાલીમ વધુ નક્કર થવી જોઈએ. એમની પાસે વધારાના વિશાળ વાચન અને જાણકારીની અપેક્ષા રખાવી જોઈએ… તો… કદાચ તો આપણું કથળી ગયેલું, ખાડે ગયેલું શિક્ષણનું સ્તર જરાક સુધરે. એક વાત દરેકે ગાંઠે બાંધવા જેવી છે કે જે પ્રજાનું શિક્ષણ ખાડે જાય તેનું સઘળું ખાડે જાય. એટલે જો આપણને આપણી આવતીકાલ ઉજળી જોઈતી હોય, એક સ્વસ્થ નાગરિક સમાજ જોઈતો હોય તો આપણે આજના શિક્ષણના માળખામાં આમૂલ પરિવર્તન કરવા જ પડશે.

E-mail This Article to Friend

આપણે સૌ એક પિતાનાં સંતાન – મોહનદાસ ગાંધી

પ્રકાશકનું નિવેદન : ગાંધીજીની કામ કરવાની રીત એવી હતી કે પોતાને જે સાચું ને કરવા જેવું લાગે તે જાતે કરવા માંડવું. પછી પોતાનું કાર્ય બીજાઓને સમજાવવાને માટે પત્રવ્યવહાર, જરૂર પડે તો ભાષણ અને ચર્ચા કરવી. તેમના કાર્યનો ફેલાવો જેમ જેમ થતો ગયો તેમ તેમ તેમણે એ કામને માટે અઠવાડિકો ચલાવ્યાં. દક્ષિણ આફ્રિકામાં એ માટે તેમણે ‘ઈન્ડિયન ઓપીનિયન’ અઠવાડિક શરૂ કરેલું. અહીં હિંદમાં આવ્યા બાદ એ જ કામને માટે પહેલાં અંગ્રેજીમાં ‘યંગ ઈન્ડિયા’ અને ગુજરાતીમાં ‘નવજીવન’ એ બે અઠવાડિકો ચલાવ્યાં. પાછળથી એ જ કામ તેમણે ‘હરિજન’ સાપ્તાહિકો મારફતે ચાલુ રાખ્યું. કોક સ્થળે તેમણે આ અઠવાડિકોને પોતાના પ્રજાજોગ સાપ્તાહિક પત્રો કહીને ઓળખાવ્યાં છે. આમ પત્રવહેવાર, પ્રસંગોપાત્ત ભાષણો, જરૂર પડ્યે જાહેર નિવેદનો અને આ અઠવાડિકો મારફતે તેમનું પાર વગરનું સાહિત્ય નિર્માણ થયું છે.

ગાંધીજીને, તેમના કાર્યને, ખાસ કરીને તેમના અહિંસાના સંદેશને અને તે માટે તેમણે યોજેલી કાર્યપદ્ધતિને જે સમજવા માગે તેણે એ બધા સાહિત્યનો શ્રદ્ધાથી અભ્યાસ કરવો જરૂરી છે. એ બધું સાહિત્ય એટલું વિશાળ છે કે તેમાંથી રુચિ તેમ જ શ્રદ્ધા મુજબ ઘણા લોકોએ પસંદગી કરી નાનામોટા સંગ્રહો બહાર પાડ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની એક સમિતિ જે ટૂંકમાં ‘યુનેસ્કો’ને નામે ઓળખાય છે તેને દુનિયાની આજની વિષમ સ્થિતિમાં ગાંધીજીના કાર્યનું અને સંદેશાનું મહત્વ એટલું બધું લાગ્યું કે તેનો પરિચય કરાવવાના આશયથી તેણે પણ ગાંધીજીનાં વચનોમાંથી પસંદગી કરીને એક સંગ્રહ ‘ઑલ મેન આર બ્રધર્સ’ એ નામે બહાર પાડ્યો છે. એ સંગ્રહની રચના એવી થઈ છે કે ગાંધીજીના વિશાળ સાહિત્ય સુધી જે ન પહોંચી શકે તે પણ તેની મારફતે તેમના કાર્યનો, તેમની વિભૂતિનો, તેમની કાર્યપદ્ધતિનો અને તેમના વિચારોનો પરિચય કરી શકે.

અંગ્રેજી અને ગુજરાતી તેમ જ હિંદની બીજી ભાષાઓમાં આ સંગ્રહ બહાર પાડવાની યુનેસ્કોએ નવજીવન સંસ્થાને પરવાનગી આપી છે. તે મુજબ આ ગુજરાતી સંગ્રહ ‘આપણે સૌ એક પિતાનાં સંતાન’ એ નામે પ્રગટ કરવામાં આવ્યો છે. ગુજરાતી જાણનારા સૌ કોઈ જિજ્ઞાસુને એ ઉપયોગી થયા વગર રહેશે નહીં. – તા. 14-11-1962.]

[1] હું ભવિષ્યમાં ડોકિયું કરવા નથી ઈચ્છતો. મને વર્તમાનની સંભાળ રાખવાની ચિંતા છે. ઈશ્વરે બીજી પળ પર મને કાબૂ નથી આપ્યો.

[2] હું મને મંદબુદ્ધિ માનું છું. ઘણી વસ્તુ મને બીજાઓના કરતાં સમજતાં વાર લાગે છે. પણ એની મને ચિંતા નથી. બુદ્ધિના વિકાસને સીમા છે. હૃદયના વિકાસને અંત નથી.

[3] આપણું ધ્યેય હંમેશ આપણાથી દૂર ને દૂર ખસતું જાય છે. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ તેમ તેમ આપણી ત્રુટિઓનું આપણને વિશેષ ભાન થતું જાય છે. પુરુષાર્થમાં જ આનંદ છે, પ્રાપ્તિમાં નથી. પૂર્ણ પુરુષાર્થ એ પૂરો વિજય છે.

[4] જ્યાં જ્યાં લોક મુશ્કેલીમાં આવી પડે ત્યાં ત્યાં તેમને છોડાવવા દોડી જનાર ક્ષાત્ર પરિવ્રાજક થવાનો ધંધો કરવો એવું મેં મારું જીવનકાર્ય માન્યું નથી. પણ લોકો શી રીતે પોતાની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે તે દેખાડવું એ મારો નમ્ર વ્યવસાય છે.

[5] હું પોતે ચાર દીકરાનો બાપ છું અને મારી બુદ્ધિશક્તિ પ્રમાણે મેં તેમને સારી રીતે કેળવ્યા છે. મારાં માતાપિતાનો હું બહુ આજ્ઞાંકિત પુત્ર હતો અને મારા અધ્યાપકોનો આજ્ઞાંકિત વિદ્યાર્થી હતો. પિતા પ્રત્યેના ધર્મની કિંમત હું સમજું છું પરંતુ પ્રભુ પ્રત્યેના ધર્મને હું સર્વ કરતાં શ્રેષ્ઠ ગણું છું.

[6] ગગનવિહારી હોવાનો હું ઈન્કાર કરું છું. હું સંતપણાનો દાવો સ્વીકારતો નથી. હું સામાન્ય માટીનો બનેલો સામાન્ય માનવી છું. તમારી જેમ જ હુંયે નબળાઈઓ તરફ ઢળું છું. પરંતુ મેં દુનિયા જોઈ છે. મારી આંખો ખુલ્લી રાખીને હું દુનિયામાં જીવ્યો છું. મારે માણસના નસીબમાં લખેલી બધી જ અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવું પડ્યું છે. એ સાધનામાંથી હું પસાર થયો છું.

[7] મને સર્વ કાળે એકરૂપ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ હું શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે.

[8] જ્યારે હું કોઈ બાબત વિષે લખું છું ત્યારે અગાઉ એ વિષે હું શું લખી ગયો છું એનો વિચાર નથી કરતો. કોઈ પ્રશ્નને છણતી વેળાએ એ વિષે અગાઉ હું લખીબોલી ગયો હોઉં તે જોડે બંધબેસતા થવાની મારી નેમ નથી હોતી પણ તે તે વખતે જે કંઈ સ્વરૂપમાં સત્યનું દર્શન મને થાય તેને અનુરૂપ બનવાનું મારું લક્ષ્ય હોય છે. પરિણામે એક સત્યથી બીજા સત્યનું મને દર્શન થયે ગયું છે, મારી સ્મરણશક્તિ નાહકની તાણથી બચી છે અને વિશેષ એ કે જ્યારે જ્યારે મારાં પચાસ વરસ પૂર્વેનાં લખાણોને પણ મારાં તાજામાં તાજાં લખાણો જોડે સરખાવવાનો વખત આવ્યો છે ત્યારે બેમાં મને કશો વિરોધાભાસ જણાયો નથી.

[9] આપણે ધનદોલત કરતાં વધારે સત્ય દાખવીશું, સત્તા અને સંપત્તિના ભપકા અને દમામ કરતાં વધારે નિર્ભયતા દાખવીશું, પોતાની જાતના પ્રેમ કરતાં વધારે ઉદારતા દાખવીશું ત્યારે જ આપણે સાચા અર્થમાં આધ્યાત્મિક રાષ્ટ્ર બનીશું. આપણે આપણાં ઘરો, આપણી મહેલાતો તથા આપણાં મંદિરોને ધનદોલતના મેલથી અને ઠાઠમાઠથી મુક્ત કરીને તેમને નીતિમત્તાથી વિભૂષિત કરીશું તો વિરોધી દળોના ગમે તેવા જોડાણની સામે પણ આપણે મોટા લશ્કરનો બોજો વહન કર્યા વિના ટક્કર લઈ શકીશું.

[10] કોણ જાણે કેમ પણ માણસજાતમાં પડેલી ઊંચામાં ઊંચી વસ્તુ બહાર ખેંચવાની પ્રભુ મને શક્તિ આપે છે. તેથી જ તો ઈશ્વર પ્રત્યેની તેમ જ મનુષ્યસ્વભાવ વિષેની મારી શ્રદ્ધા ટકી રહે છે.

[11] ઘણી વખત મારો વિશ્વાસઘાત થયો છે એ ખરું. અનેકે મને દગો દીધો છે અને અનેક ધારેલા તેવા ઊતર્યા નથી, છતાં તેઓની સાથેના મારા સંસર્ગ માટે મને પસ્તાવો નથી થતો. કેમ કે જેમ મેં સહકાર કરી જાણ્યો છે તેમ જ અસહકાર પણ. જ્યાં સુધી વિરુદ્ધમાં પાકા પુરાવા ન હોય ત્યાં સુધી માણસ પોતાને વિષે આપણને કહે તે માનીને ચાલવું એ આ દુનિયામાં વધુમાં વધુ વ્યવહારુ અને આબરૂભરેલો માર્ગ છે.

[12] આપણે પ્રગતિ કરવી હોય તો આપણે ઈતિહાસની પુનરુક્તિ ન કરતાં ઈતિહાસ નવો રચવો જોઈએ. આપણા વડવાઓએ મૂકેલો વારસો આપણે વધારવો જોઈએ. ભૌતિક જગતમાં આપણે નવી નવી શોધો કરી શકીએ તો આધ્યાત્મિક જગતમાં આપણે દેવાળું શાને જાહેર કરીએ ? અપવાદો વધારી વધારીને નિયમ ન બનાવી શકાય શું ? શું હંમેશાં માણસે માણસ બનવા માટે પહેલું પશુની દશામાંથી પસાર થવું જ જોઈએ ?

[13] ગમે તેવું નજીવું કામ તમારે કરવાનું હોય પણ તે જેટલી કાળજીથી તમે જેને બહુ જ મોટું કામ ગણો તે કરો એટલી જ કાળજીથી કરો, નાનામાં નાના કામમાં તમારો આત્મા રેડો. योग: कर्मसु कौशलम નો એ જ અર્થ છે. નાનામાં નાના કાર્યમાં દેખાતા આ કૌશલથી તમારી કિંમત અંકાશે.

[14] જે કંઈ ‘પ્રાચીન’ને નામે ખપે છે તે બધાનો હું આંધળો ભક્ત નથી. જે કંઈ અનિષ્ટ હોય, નીતિભ્રષ્ટ હોય, એ બધું ચાહે એટલું પ્રાચીન હોય તોયે તેનો નાશ કરતાં હું અચકાતો નથી. પણ સાથે સાથે મારે કબૂલ કરવું રહ્યું કે, પ્રાચીન પ્રણાલીનો હું પૂજક છું અને લોકો હરેક આધુનિક વસ્તુની પાછળ પોતાની દોડમાં પોતાની સઘળી પ્રાચીન પરંપરાઓને ધુતકારી કાઢે અને પોતાના જીવનમાં તેમની ઉપેક્ષા કરે, એ જોઈને મને દુ:ખ થાય છે.

[15] ખરી નીતિનો એ નિયમ છે કે, આપણે જાણતા હોઈએ એ માર્ગ લેવો બસ નથી, પણ જે માર્ગ ખરો છે એમ આપણે જાણતા હોઈએ, તે માર્ગથી આપણે વાકેફ હોઈએ કે નહીં તો પણ, આપણે તે લેવો જોઈએ.

[16] નીતિવાળું કામ આપણી પોતાની ઈચ્છાએ થયેલું હોવું જોઈએ. જ્યાં સુધી આપણે યંત્ર માફક કામ કરીએ, ત્યાં સુધી આપણું કામ નીતિવાળું ન કહેવાય. નીતિવાળું દરેક કાર્ય શુભ ઈરાદાથી થવું જોઈએ એટલું જ બસ નથી, તે દબાણ વગર થવું જોઈએ. એટલે કે નીતિથી થયેલું કામ દબાણ વગરનું અને ભય વગરનું હોવું જોઈએ.

[17] ભલાઈ સાથે જ્ઞાનનો સુયોગ સાધવો જોઈએ. કેવળ ભલાઈ ઝાઝી ઉપયોગી નથી. માણસ પાસે સુક્ષ્મ વિવેકશક્તિ હોવી જોઈએ. એ સારાસારવિવેક આધ્યાત્મિક હિંમત અને ચારિત્ર્યનો સહોદર છે. કટોકટીને પ્રસંગે, ક્યારે બોલવું અને ક્યારે મૌન સેવવું, ક્યારે પ્રવૃત્ત થવું અને ક્યારે ન થવું એ માણસે જાણવું જોઈએ. એવા સંજોગોમાં કર્મ અને અકર્મ પરસ્પર વિરોધી ન રહેતાં એકરૂપ બની જાય છે.

[18] એક માણસ બીજા માણસનો ધર્મપલટો કરે એમાં હું માનતો નથી. મારો પ્રયાસ, પોતાના ધર્મને વિષેની બીજાની શ્રદ્ધા ડગાવવાનો નહીં પણ તે પોતાના જ ધર્મનો વધારે સારો અનુયાયી બને એવો હોવો જોઈએ. આના મૂળમાં બધા જ ધર્મોને વિષે આદર અને તેમનામાં રહેલા સત્યને વિષે શ્રદ્ધા રહેલાં છે. વળી એના મૂળમાં નમ્રતા તથા દેહના અપૂર્ણ સાધન દ્વારા બધા જ ધર્મોને દૈવી પ્રકાશ લાધ્યો છે અને એ સાધનની પૂર્ણતાને કારણે વત્તે ઓછે અંશે બધા જ ધર્મો અપૂર્ણ છે, એ હકીકતનો સ્વીકાર પણ રહેલો છે.

[19] મૃત્યુ એ કોઈ ભયંકર ઘટના નથી એવો ખ્યાલ હું ઘણાં વર્ષોથી સેવતો આવ્યો હોવાને કારણે કોઈના પણ મૃત્યુનો આઘાત મારા ઉપર લાંબા સમય સુધી અસર કરી શકતો નથી.

[20] ‘કળાને ખાતર કળા’ સાધવાનો દાવો કરનાર પણ ખરું જોતાં તેમ નથી કરી શકતા. કળાને જીવનમાં સ્થાન છે. કળા કોને કહેવી એ નોખો સવાલ છે. પણ આપણે બધાએ જે માર્ગ કાપવાનો છે તેમાં કળા વગેરે સાધન માત્ર છે. એ જ જ્યારે સાધ્ય થાય ત્યારે બંધનરૂપ થઈ મનુષ્યને ઉતારે છે.

[21] જે કળા આત્માને આત્મદર્શન કરતાં ન શીખવે તે કળા જ નહીં. અને મને તો આત્મદર્શનને માટે કહેવાતી કળાની વસ્તુઓ વિના ચાલી શકે છે. અને તેથી જ મારી આસપાસ તમે બહુ કળાની કૃતિઓ ન જુઓ તોપણ મારા જીવનમાં કળા ભરેલી છે એવો મારો દાવો છે. મારા ઓરડાને ધોળીફક દીવાલો હોય, અને માથા ઉપર છાપરુંયે ન હોય તો કળાનો હું ભારે ઉપભોગ કરી શકું એમ છું. ઉપર આકાશમાં નક્ષત્રો અને ગ્રહોની અલૌકિક લીલા જે જોવાની મળે છે તે મને કયો ચિતારો કે કવિ આપવાનો હતો ? છતાં તેથી ‘કળા’ નામની સમજાતી બધી વસ્તુનો હું ત્યાગ કરનારો છું એમ ન સમજશો. માત્ર આત્મદર્શનમાં જેની સહાય મળે તેવી જ કળાનો મારે માટે અર્થ છે.

સામાજિક ટી.વી. સીરિયલો – આભા ટંડેલ

આજે ચોતરફ સંસ્કારોની હોળી ખેલાઈ રહી છે. દેશી-વિદેશી ચેનલો અને ફિલ્મી મનોરંજનની ચેનલોએ દર્શકોના મનોરંજનના નામે હલકામાં હલકાં દશ્યો રજૂ કરવા માંડ્યાં છે. જાણે રીતસરની હરીફાઈ ઊપડી છે. ભારત પાસે ગરીબી અને ભૂખમરો છે. બેકારી અને બેહાલી છે. હજારો વર્ષ સુધી ટકી રહેલા સંસ્કારો અને સંસ્કૃતિ છે, પરંતુ આજે એક દીવાનખંડમાં ઘૂસી જઈને ટેલિવિઝન વિવિધ ચેનલો દ્વારા રીતસરનું આક્રમણ કરી રહ્યું છે, ત્યારે સંતો સિદ્ધિમાં, નેતાઓ મદમાં અને પ્રજા પ્રમાદમાં ડૂબેલી છે. ઉઘાડી આંખે જોઈ શકાય એમ હોવા છતાં દેશની સંસ્કૃતિની વાતો કરનારા, પેટ ભરીને ભાષણો ઠોકી સંસ્કૃતિને નામે મત માગનારાઓના પેટનું પાણીય નથી હાલતું.

ચોવીસ કલાક ટીવી ઉપર જુદી-જુદી ચેનલો દ્વારા ભાતભાતનો રસથાળ પીરસાતો રહે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલીક ચેનલ દ્વારા દર્શાવાઈ રહેલી સામાજિક સીરિયલોના ફૂલ્યા-ફાલ્યા અજગરે સમાજના મોટા વર્ગને પોતાના ભરડામાં જકડી લીધો છે. ઝૂંપડપટ્ટીથી લઈને હાઈ-સોસાયટી સુધી, શહેરોથી લઈને નાના ગામડા સુધી ટીવી ઉપર આ સીરિયલો નિહાળનારાઓની એ એક ‘આદત’ બની ચૂકી છે જાણે.

એક સમય હતો જ્યારે અઠવાડિયામાં અડધો કલાક-કલાક દરમ્યાન આવી કોઈ સામાજિક સીરિયલ દર્શકોને મનોરંજન સાથે જીવનપ્રેરક સંદેશા આપતી. ખૂબ લોકપ્રિય બનેલી હમલોગ, ખાનદાન, સાંજા ચૂલ્હા, માલગૂડી ડેઝ જેવી સામાજિક સીરિયલો હોય, રામાયણ-મહાભારત, ક્રિષ્ણા જેવી ધાર્મિક સીરિયલો હોય કે પછી સાંપ્રત સમસ્યાઓથી ઘેરાયેલા માનવીના જીવંત પ્રશ્નોને આબેહૂબ વાચા આપતી દિગ્દર્શક જશપાલ ભટ્ટીની સીરિયલ હોય, પરંતુ એમાં ક્યાંય ભારતીય સમાજની આગવી સંસ્કૃતિનું વસ્ત્રાહરણ થયું નથી. બાવન હપ્તે પૂરી થયેલ આ સીરિયલોના કોઈ અનિચ્છનીય પ્રત્યાઘાતો પડ્યાનું બહુ જાણમાં નથી. જ્યારે આજની સામાજિક સીરિયલોની માયાજાળે સ્ત્રીઓ-પુરુષો, યુવાનોથી માંડીને બાળકો અને વૃદ્ધો ઉપર પણ પોતાની જાદૂઈ અસર ફેલાવી દીધી ન હોય તેવું લાગી રહ્યું છે. સીરિયલ નિહાળનારો એક ચોક્કસ વર્ગ રાત્રે ન વધે તેટલો દિવસે અને દિવસે ન વધે તેટલો રાત્રે વધી રહ્યો છે અને આ માત્ર સીરિયલ નિહાળવા સુધીની જ વાત હોય તો તો ઠીક, અહીં તો મોટા ભાગના દર્શકો રીતસરની ‘સીરિયલ લાઈફ’ જીવતા થઈ ગયા છે. અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવારથી ગુરુવાર સુધી રાત્રે સાડા આઠથી સાડા અગિયાર વાગ્યા સુધી એટલે કે સતત ત્રણ કલાક અને અઠવાડિયાના ગણો તો બાર કલાક (બાકીનો હિસાબ વાચકો જાતે લગાવે) આ સામાજિક સીરિયલોનું સામ્રાજ્ય ટીવી ઉપર છવાયેલું રહે છે. જે કંઈક દેખાઈ રહ્યું છે, તેનો આછો ચિતાર રજૂ કરવાનો પ્રયત્ન કરું છું.

સીરિયલો જોનારા પરિવારમાંથી ભાગ્યે જ કોઈ સદસ્ય અલિપ્ત રહી શકતો હશે. રાત્રે 8.30 વાગ્યે મોટા ભાગના પરિવારો સોમથી ગુરુ દરમ્યાન ટીવી સામે ગોઠવાઈ જતા હોય છે. ઘણાં તો સીરિયલનો કોઈ ભાગ ચૂકી ન જવાય એ માટે લૂસ-લૂસ જેમતેમ ભોજન પતાવી નાખે. ઘણા તો રાત્રિભોજન પણ ટીવી જોતાં-જોતાં જ પતાવે. આવી રીતે ભોજન લેનાર સીરિયલના પાત્ર અને પ્રસંગની સાથે-સાથે જ જુદા-જુદા આવેગો અને ઉત્તેજના અનુભવે. આયુર્વેદની દષ્ટિએ આવું ભોજન કેટલું આરોગ્યપ્રદ મનાય ? ગૃહિણીઓ સમયસર રસોઈ બનાવી નાખવાની વેતરણમાં સહકુટુંબ ફરવા જવાનો કે પિકનિકનો અમૂલ્ય આનંદ પણ ગુમાવે. કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા-વિચારણાનો પૂરો સમય સીરિયલો ખાઈ જાય. કોઈ બીમાર સંબંધીની ખબર કાઢવા જવાનું હોય તો ભૂલેચૂકેય આવા સમયગાળામાં ન જવાય અને જો ભૂલથી જઈ ચડ્યા તો યજમાનના ઘરના અન્ય દર્શકોના ચહેરા ઉપર રસમય હપ્તો ચૂકી જવાનો રંજ અવશ્ય જોવા મળે. અરે, ઘણી વાર તો ફરજિયાતપણે સાથે બેસીને સીરિયલ જોવાની સજા ભોગવવી પડે અને વધુમાં મળવા જવાનો મૂળ હેતુ જ માર્યો જાય.

ઘરમાં, ઑફિસમાં, બસમાં કે ટ્રેનમાં, શાળા-કૉલેજમાં, ચોરે ને ચૌટે બસ સીરિયલની જ ચર્ચા સંભળાય. એમાં પણ વળી કોઈ રસપૂર્વકની ઘટના જો અધવચ્ચે જ અટકાવી દીધી હોય તો તો દર્શકના જીવ દિવસ આખો તાળવે જ ચોંટેલા રહે. હવે પછી આમ થશે ને તેમ થશેની જાતજાતની પૂર્વધારણા બાંધ્યા કરે. સીરિયલના પ્રિય પાત્રના શોખ, હર્ષ, દુ:ખ બધું જ નિહાળનારનું પોતીકું બની જાય. જો કોઈ પ્રિય પાત્રનું મૃત્યુ થતું બતાવાય તો તે દિવસો સુધી જાણે પોતીકું સ્વજન ગુમાવ્યું હોય, એવો શોક મનાવનારાય ઓછા નથી જોવા મળતા. આ લેખ લખાય છે ત્યારે 2003 પ્રમાણે ‘સાસ ભી કભી બહુ થી’ની પાયલ કે આરતી હોય, ‘કહાની ઘર ઘર કી’ની પલ્લવી હોય કે પછી ‘કસોટી જિંદગી કી’ની કોમલિકા હોય. સીરિયલમાં ખલનાયિકાઓનું પાત્ર ભજવનારી જાણે દર્શકોની પોતાની જ સાત જનમની દુશ્મન હોય એટલી નફરત બતાવે, જાહેર ચર્ચામાં. સીરિયલમાં આવતી નવી નવી પ્રણાલિકાઓ, પહેરવેશ, સંવાદ, વર્તનનું વાસ્તવિક જીવનમાં કેવું અનુકરણ થતું હોય, તે જોવું હોય તો આસપાસના વાતાવરણનો જ અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે આજનો સમાજ કઈ દિશામાં દોરવાઈ રહ્યો છે. તુલસીની સાડી હોય, પાર્વતીની બિંદી હોય કે પછી પ્રેરણાનાં ઘરેણાં હોય. સીરિયલ દ્વારા જાહેરાત થતી સ્ત્રી શણગારની દરેક ચીજવસ્તુ બજારમાંથી ચપોચપ ઊઠી જાય છે. વળી, આ ફેશનનું આયુષ્ય પણ ખૂબ જ ટૂંકું હોય છે. ત્રણ-ચાર હપ્તા પછી તો એ જૂની ફેશન બની જાય. આવી તો કેટલી સીરિયલોવાળાંનાં ખિસ્સા ભરવા માટે હજારોનાં ખિસ્સાંનો ભાર હળવો થઈ રહ્યો છે, તે પણ ખુશી ખુશી.

પોતાના વર્તુળમાં આકર્ષણ જમાવવા માટે કોલેજિયનો સીરિયલમાં બતાવાતા નુસ્ખાઓનો આધાર લેતા જોવા મળે છે. અહીં તો આખે-આખી સ્ત્રીજાતિને જ ધરમૂળથી બદલી નાખવા માગતી ન હોય, તેમ સરેરાશ સીરિયલોમાં સ્ત્રીને જ ખલનાયિકા બતાવવામાં આવી રહી છે. ક્યાંક તે પૈસાના લોભે પુરુષને ફસાવતી પ્રેમિકા છે, ક્યાંક દેરાણી-જેઠાણી, સાસુ તો ક્યાંક પોતાનો બદલો લેવા આખા ઘરનું સત્યનાશ વાળતી વહુના પાત્રમાં. આજની સામાજિક સીરિયલોમાં કૌટુંબિક સંબંધોનું જે વરવું સ્વરૂપ મારી ઠોકીને વારંવાર દર્શાવી, દર્શકોના મગજનું ઓપરેશન કરતું જે સ્વરૂપ બતાવવામાં આવે છે, તે કેટલે અંશે સ્વીકાર્ય છે ? આ તો એક માત્ર ભારત જેવા દેશમાં જ ટકી રહેલી આગવી સંયુક્ત કુટુંબની સંસ્કૃતિ ઉપર કરવામાં આવી રહેલો કુઠારાઘાત નથી શું ? વાસ્તવિક જીવનમાં સાસુ-વહુ, દેરાણી-જેઠાણી કે ભાભી-નણંદનાં અંગત વેર-ઝેર કે અબોલા હોય કે પછી મનદુ:ખ હોય. બધી જ ફરિયાદો કૌટુંબિક સુખ-દુ:ખના પ્રસંગોએ ઊભી પૂંછડીએ ભાગી જાય છે. જ્યારે અહીં તો કાવાદાવા, પ્રપંચ અને બદલાની ભાવના એવી તો જવાળા ઓકતી બતાવાય છે કે છેવટે સામેની વ્યક્તિના મૃત્યુ પછી જ શાંત થાય. એ બધું કેટલું વાજબી ગણાય ? સીરિયલ જોનારા ઘણી વ્યક્તિઓના અંગત જીવનમાં પણ આ બધા પડઘા પડતા હોય છે. દંપતીનો અન્યોન્યને જોવાના દષ્ટિકોણમાં પણ ધરખમ ફેરફાર થતા હોય છે. ઘણી શંકાશીલ સ્ત્રીઓના મગજમાં કોઈક ‘કોમલિકા’ કે ‘પાયલ’ સતત છવાયેલી રહે છે. પરિણામ સ્વરૂપ પતિની સહકર્મચારિણી હોય કે સ્ત્રીમિત્ર હોય, વગર વાંકે દામ્પત્યજીવનમાં તિરાડ પાડવાનું કારણ બને. ઘણી વાર એથી ઊંઘું, પતિ મહાશયો પણ આનો ભોગ બને. આ સિવાય ઘણા પતિદેવો તો સીરિયલમાં બનીઠનીને રહેતી સ્ત્રીપાત્ર સાથે સતત પત્નીની સરખામણી કરી અસંતોષની લાગણી મનમાં ઘૂંટ્યા કરે. વૃદ્ધોના ભાગે તો નાના પડદે દેખાતા પ્રસંગો, કૌટુંબિક જીવન અને વાસ્તવિક જીવન વચ્ચેનું અવલોકન માત્ર કરવાનું આવે.

સૌથી બૂરી દશા બાળમાનસની થઈ રહી છે. ભારેખમ ભણતરનો બોજ માંડ-માંડ ઉપાડી શકતા કોમ્પ્યુટર યુગનાં બાળકોનો આઈ.ક્યુ ભલે ઊંચો આંક બતાવતો હોય, પરંતુ એના સર્વાંગી વિકાસના પાયા સાથે જે ચેડાં થઈ રહ્યાં છે, તે તો અક્ષમ્ય જ ગણાય. શૈશવ ખોવાઈ ગયું છે, વાંચન ગયું, પુસ્તકો ગયાં, ભાઈ-ભાંડુ સાથેનાં મસ્તી-તોફાન બંધ થયાં, શેરી-રમતો અભરાઈએ ચડી ગઈ, દાદાજીની વાર્તા અને દાદીમાના હાલરડાં ખોવાઈ ગયાં. માતા-પિતા પાસે પૂરતો સમય નથી ત્યારે ભર્યાં ઘરમાં એકલા પડેલા એ બાળકના કુમળા માનસ ઉપર સંસ્કાર સીંચવાનું કામ ટેલિવિઝને ઝૂંટવી લીધું હોય ત્યારે ભાવિ પેઢી પાસેથી આપણી અપેક્ષાઓ કેવી ફળશે ? સાત-આઠ વર્ષના બાળકને સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધનો ખ્યાલ આવી જવા લાગ્યો છે. સીરિયલનાં ટાઈટલ ગીતો કડકડાટ મોઢે થઈ જાય. મોટેરાંઓની સાથે એટલા જ રસપૂર્વક સીરિયલો જુએ. એક વાર હળવાશની પળોમાં મારી શાળામાં ભણતા ચોથા ધોરણના વિદ્યાર્થીએ અચાનક જ મને પ્રશ્ન કર્યો : ‘ટીચર, તમને સીરિયલમાં આવતી કોમલિકા ગમે ?’ હું સીરિયલ જોતી નથી છતાં આસપાસના વાતાવરણમાં થતી ચર્ચાને આધારે અમુક જાણીતાં પાત્રો વિશેની આછી માહિતી ખરી તેથી મેં પ્રતિ સવાલ પૂછ્યો, ‘તને ગમે ?’ પ્રત્યુત્તરમાં એણે ના પાડી. મેં પૂછ્યું કે કેમ ? તો કહે, ‘કોમલિકા છે ને તે બહુ ખરાબ છે. પ્રેરણા અને અનુરાગનાં લગન થવા જ દેતી નથી.’ મારી સામે ઊભેલા ભાવિ નાગરિકના આ જવાબથી હું તો સ્તબ્ધ જ થઈ ગઈ. ટીવી સીરિયલના દર્શકો અને ચાહકો મને માફ કરે. ટીવી ઉપર જોવા જેવા ઘણા કાર્યક્રમો આવતા હોય છે. વળી, સામાજિક સીરિયલોમાંથી પણ ગ્રહણ કરવા યોગ્ય વિષયવસ્તુઓ મળતી હશે, પરંતુ જે પ્રકારનું ચિત્ર ઊપસી રહ્યું છે, તે ચિંતા પ્રેરે એવું અવશ્ય છે જ. આજે નાની દેખાતી આ સમસ્યા ટૂંક સમયમાં જ મોટું સ્વરૂપ પકડે તો નવાઈ નથી. આ એક ધીમું અને લાંબા ગાળાનું ઝેર સાબિત થઈ શકે. અતિ સર્વત્ર વર્જયેત. સામાજિક સીરિયલો માટેના ચાહકવર્ગનો વધુ પડતો લગાવ ભાવિ સમાજને કઈ દિશામાં દોરી જશે, એ વિશે ચિંતા અને ચિંતન બન્ને કરવાનો સમય પાકી ગયો છે. સીરિયલ-દર્શકોની વિવેકબુદ્ધિ જ આમાંથી સાચો માર્ગ કાઢી શકે.

અગાઉ જણાવ્યું તેમ, શરૂઆતથી જ હું આવી કોઈ સીરિયલો જોતી નથી. મારી આસપાસ થતી લોકજીભે ચર્ચાતી વાતો અને આસપાસના વાતાવરણનો થોડા સમયના અભ્યાસ પછી જ મેં ઉપરોક્ત ચિતાર રજૂ કર્યો છે. માત્ર સીરિયલનાં ઉપરોક્ત કેટલાંક પાત્રો અંગેની યથાર્થતા નક્કી કરવા પૂરતી જ દસેક મિનિટ જેટલો એ સીરિયલોનો કેટલોક ભાગ જોયો છે. અગર જો કોઈ સંસ્થા દ્વારા આ વિષય ઉપર રીતસરનું સર્વે કરી અભ્યાસ કરવામાં આવે તો તેનાં તારણો ચોક્કસ આપણા સૌની આંખો ચાર કરી દેનારાં હશે જ, એવા વિશ્વાસ સાથે વિરમું છું.